શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટને PIB ફેક્ટ ચેકે નકલી ગણાવી; વડાપ્રધાને માત્ર થોડા સમય માટે નવું સોનું ન ખરીદવાની સલાહ આપી હતી.
PM Modi gold sell appeal truth: સોશિયલ મીડિયા પર રોજ કોઈ ને કોઈ ફેક ન્યૂઝ વાયરલ થતા હોય છે. હાલમાં આવા જ એક સમાચાર ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યા છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને પોતાનું તમામ સોનું વેચીને એ પૈસા બેંકમાં જમા કરાવવાની અપીલ કરી છે. જો તમારા વોટ્સએપ કે ફેસબુક પર પણ આવો કોઈ મેસેજ કે ફોટો આવ્યો હોય, તો તેના પર વિશ્વાસ કરતા પહેલા આ સમાચારનું 100% સત્ય જરૂરથી જાણી લેજો. સરકારી એજન્સી PIB (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) ની ફેક્ટ ચેક ટીમે આ દાવાને સાવ ખોટો અને પાયાવિહોણો ગણાવીને વાયરલ મેસેજની પોલ ખોલી છે.
કેવી રીતે ફેલાઈ આ અફવા?
હકીકતમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તમાન આર્થિક અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને થોડા સમય પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને એક સંબોધનમાં અપીલ કરી હતી કે તેઓ હાલ પૂરતું નવું સોનું ખરીદવાનું ટાળે. પરંતુ કેટલાક લોકોએ આ વાતને ખોટી રીતે રજૂ કરીને સોશિયલ મીડિયા પર એક એડિટ કરેલો સ્ક્રીનશોટ વાયરલ કરી દીધો. આ વાયરલ તસવીરમાં પીએમ મોદીના ફોટા સાથે લખવામાં આવ્યું હતું કે, “આ સોનું ખરીદવાનો નહીં, પરંતુ માતાઓ અને બહેનોએ બલિદાન આપવાનો સમય છે. તમામ માતાઓ અને બહેનોને પોતાનું સોનું વેચીને બધા પૈસા બેંકમાં જમા કરાવવાની અપીલ છે.”
PIB ફેક્ટ ચેકે દાવાને 100% ખોટો ઠેરવ્યો
જ્યારે આ અફવા PIB ફેક્ટ ચેકની ટીમ સુધી પહોંચી, ત્યારે તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી સ્પષ્ટતા કરી કે વડાપ્રધાને ક્યારેય દેશની માતાઓ કે બહેનોને પોતાનું સોનું વેચવા માટે કોઈ જ અપીલ કરી નથી. આ દાવો સંપૂર્ણપણે બનાવટી છે. પીએમએ માત્ર આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ જોતાં જનતાને થોડા સમય માટે સોનાની ખરીદીથી દૂર રહેવાની સામાન્ય અપીલ કરી હતી, જેની પ્રેસ રિલીઝ પણ PIB દ્વારા શેર કરવામાં આવી છે.
કોઈપણ મેસેજ પર આંધળો વિશ્વાસ ન કરો
PIB ની ટીમે લોકોને સાવચેત કરતા ખાસ સલાહ આપી છે કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર આવતા આવા કોઈપણ ભ્રામક મેસેજ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો. કોઈપણ મોટી જાહેરાત કે માહિતીની ખાતરી હંમેશા સરકારના સત્તાવાર સ્ત્રોતો પરથી જ કરવી જોઈએ. શંકાસ્પદ માહિતીને ફોરવર્ડ કરતા પહેલા તેની ખરાઈ કરવી જરૂરી છે.




