Dr.Sharmishtha Solanki
વડોદરા શહેરના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ) ના સભ્ય અને ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (MSU) ના સમાજ કાર્ય વિભાગના ફેકલ્ટી સભ્ય ડૉ. શર્મિષ્ઠા ઠાકોરલાલ સોલંકીએ સમાજ કાર્ય (Social Work) માં ડૉક્ટર ઑફ ફિલોસોફી (Ph.D.) ની પ્રતિષ્ઠિત પદવી મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
ડૉ. શર્મિષ્ઠા સોલંકી, જેઓ અનુસૂચિત જાતિ પૈકીના અતિ પછાત વાલ્મિકી સમાજમાંથી આવતા શિક્ષિત મહિલા છે, તેમણે સામાજિક ન્યાયના ધ્યેયને સમર્પિત એક અસાધારણ કારકિર્દી અને સંશોધન દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે. ડૉ. શર્મિષ્ઠા સોલંકીને તેમના “ગુજરાત રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સની જીવનશૈલી અને અનુભવાયેલ સુખાકારી (Lifestyle and Perceived Wellbeing of Manual Scavengers in Gujarat State)” શીર્ષક પરના ગહન અને સૂઝબૂઝવાળા સંશોધન બદલ Ph.D.ની પદવી એનાયત કરવામાં આવી છે.
તેમનું સંશોધનનું કેન્દ્ર ગુજરાતમાં હાથથી મેલું સાફ કરતા તથા ગટર કામ સાથે જોડાયેલા સફાઈ કામદારોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને માનસિક જીવનશૈલી જેવા અત્યંત સંવેદનશીલ વિષય પર પ્રકાશ પાડે છે. આ સંશોધન દ્વારા, ડૉ. શર્મિષ્ઠા સોલંકીએ સંવેદના, નીતિ સુધારણા અને સામાજિક ઉત્થાન માટેના મહત્વપૂર્ણ પરિપ્રેક્ષ્યોને ઉજાગર કર્યા છે.
ડૉ. શર્મિષ્ઠા સોલંકીએ તેમની આ PhDની સિદ્ધિની જાહેરાત ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૬૯મી પુણ્યતિથિ (મહાનિર્વાણ દિવસ) ના રોજ કરી હતી. તેમણે પોતાના શોધ નિબંધને કમાટીબાગ, વડોદરા સ્થિત સંકલ્પભૂમિ ખાતે ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં નતમસ્તક થઇ સમર્પિત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે
ડૉ. શર્મિષ્ઠા સોલંકીએ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે કામ કર્યું છે, જે તેમની બહુમુખી કુશળતા દર્શાવે છે: યુનિસેફ (સોશિયલ સેક્ટર રિકવરી પ્લાન અને બાળ સંરક્ષણ પ્રોજેક્ટમાં), OXFAM (ગ્રેટ બ્રિટન) માં પૂર્વ ભારતમાં પૂર રાહત દરમિયાન કામગીરી, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના ડ્રીમ પ્રોજેક્ટ સ્વજલધારા (WASMO) માં, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમમાં, સર્વ શિક્ષા અભિયાનમાં (હવે સમગ્ર શિક્ષા અભિયાન), અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવેલ છે.
ડૉ. શર્મિષ્ઠા સોલંકીને તેમના સામાજિક કાર્ય અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે બહુવિધ સન્માન પ્રાપ્ત થયા છે. તેમને પંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્મૃતિ સન્માન ૨૦૨૨ થી કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ મંત્રીશ્રી માનનીય અજય મિશ્રાજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમને સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્ર સન્માન ૨૦૨૨, તિલકા માઝી રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૧, અને અટલ સ્મૃતિ સન્માન ૨૦૨૨ જેવા રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. વડોદરા શહેરના ગૌરવરૂપ તરીકે તેમને વડોદરા રત્ન એવોર્ડ ૨૦૨૧ પણ એનાયત થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, આંબેડકર સોસાયટી
ફોર સાઉથ એશિયા, પાકિસ્તાન દ્વારા ૨૦૧૯ માં પ્રશંસા એવોર્ડથી સન્માનિત થયા હતાં. ડૉ. શર્મિષ્ઠા સોલંકીને વાલ્મિકી સમાજમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા બદલ માનનીય ઉર્જા મંત્રીશ્રી શ્રી સૌરભભાઈ પટેલ અને તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ ચુડાસમા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ ભાગીદારી બદલ, તેમને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા એક સુવર્ણ અને બે રજત મેડલ પણ પ્રાપ્ત થયા છે, જે તેમની બહુમુખી પ્રતિભાનું પ્રમાણ છે.
ડૉ. શર્મિષ્ઠા સોલંકીએ બાળ વિકાસ, બાળ સંરક્ષણ, દિવ્યાંગ બાળકોના કાર્યક્રમો, અને સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે, જેમાં ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં યોગદાન, મહિલા જૂથોને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે જોડવા અને આપત્તિ દરમિયાન બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, MSU ના શૈક્ષણિક જગત અને સમસ્ત વડોદરાના નાગરિકો ડૉ. શર્મિષ્ઠા સોલંકીને તેમની આ વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ અને સામાજિક સમર્પણ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને તેમના જ્ઞાન અને સામાજિક પરિવર્તનની ઉમદા શોધમાં સતત સફળતાની શુભેચ્છાઓ આપે છે.






