
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્વાસઃ CM
મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જન-જનને સ્પર્શતા સર્વાંગીણ વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહીં પણ નક્કર વિકાસની રાજનીતિ. વધુમાં મુખ્યપ્રધાને લખ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા અઢી દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જાયું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપાની વિકાસધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે.
કોંગ્રેસના સુપડા થયા સાફ
સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા, રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી, જનકલ્યાણ માટે અને સર્વાંગીણ વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં. આ સાથે જ મુખ્યપ્રધાને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ જગ્યાઓ પર ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી દીધા છે અને ભાજપે મોટાભાગની સીટ પર વિજય મેળવ્યો છે.